
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર અનુસાર ધોરણ 9 અને ધોરણ 11 માટે વર્તમાન નિયમ અનુસાર પુનઃ પરીક્ષા ની જોગવાઇ નથી. પરંતુ ધોરણ 9 અને 11 માં નાપાસ થનાર વિદ્યાર્થીઓ માટે પુનઃ પરીક્ષા લેવા અંગે શાળા દ્વારા કરવામાં આવેલી રજુઆત નાં આધારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, 2020 માં વિદ્યાર્થીઓને પરિણામ સુધારવાની તક મળે તેવી જોગવાઈ કરવા જણાવવામાં આવ્યું છે. આ બાબતને ધ્યાનમાં લઈ 7મી જૂન, 2024નાં રોજ મળેલી બોર્ડની શૈક્ષણિક સમિતિમાં ઠરાવ કરવામાં આવ્યો છે. શૈક્ષણિક વર્ષ 2023-2024 થી ધોરણ 9 અને ધોરણ 11માં નાપાસ વિદ્યાર્થીઓની પુનઃ પરીક્ષા લેવામાં આવશે, જે વિદ્યાર્થી જે શૈક્ષણિક વર્ષની વાર્ષિક પરીક્ષાના પરિણામમાં જે વિષયમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થી માટે શૈક્ષણિક વર્ષની શરૂઆત નાં 15 દિવસમાં શાળા કક્ષાએ તે વિષયની પુનઃ પરીક્ષા લઇ તેના પરિણામના આધારે પરીક્ષાના વિદ્યાર્થીને વર્ગ બઢતી આપવામાં આવશે. આવા વિદ્યાર્થી ની પરીક્ષા શાળા કક્ષાએ 29મી જૂન,2024 સુધીમાં લેવાની રહેશે.
